યક્ષ અને યુધિષ્ઠિર મહારાજનો પ્રસંગ

પાંડવો કામ્યક વનનો ત્યાગ કરીને ફરી દ્વૈતવનમાં આવ્યા.એ વનમાં તેઓને પરિણામે સુખદાયી એવું એક કષ્ટ પડ્યું હતું વનમાં એક તપસ્વી બ્રાહ્મણે એક વૃક્ષ પર,અગ્નિ ઉત્પન્ન કરવાના અરણીપાત્ર અને મંથનદંડ ભરાવ્યાં હતા.

એક વખત એક હરણ તે ઝાડની સાથે માથું ઘસતો હતો ત્યારે તે તેના શિંગડાંમાં ભરાઈ ગયાં.ને પછી તે મૃગ ત્યાંથી દોડતો ત્યાંથી દૂર નીકળી ગયો.

મૃગને પોતાનાં પાત્ર હરી જતો જોઈને તે વિપ્રે,યુધિષ્ઠિર પાસે આવી તે પાત્ર પાછું મેળવવા સહાય માગી, એટલે યુધિષ્ઠિર ભાઈઓ સાથે ધનુષ્ય લઈને તેની પાછળ પડ્યા.પણ મૃગ અદ્રશ્ય થઇ ગયો.ઘણો સમય વીત્યો પણ તે મૃગ ન મળવાથી તે પાંડવો દુઃખી થયા,વળી થાક પણ લાગ્યો હતો ને તરસ લાગી હતી એટલે તેઓ એક ઝાડ નીચે બેઠા

ત્યારે થાકેલો ને તરસ્યો દુઃખિત નકુલ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-આપણા કુળમાં ધર્મ કદી ડૂબ્યો નથી તેમ જ આળસને પરિણામે અર્થનો લોપ પણ થયો નથી.વળી,કાર્યાર્થી પ્રાણીમાત્રને આપણે સદૈવ હા જ પાડી છે તો પછી શા કારણથી આ વધુ ને વધુ કષ્ટમાં આપણે આવી પડ્યા છીએ?

યુધિષ્ઠિર બોલ્યા- ‘આપત્તિને કંઈ મર્યાદા નથી, તેમ તેને નિમિત્ત અને કારણ પણ નથી. કેવળ પ્રારબ્ધરૂપી ધર્મ જ પાપ અને પુણ્ય એ બંનેના ફલરૂપ દુઃખ અને સુખને વહેંચી આપે છે.’

યુધિષ્ઠિરે નકુલને કહ્યું-‘તું ઝાડ ઉપર ચડીને,ક્યાંય નજીકમાં જળાશય દેખાય છે?’ ત્યારે નકુલે,ઝાડ પર ચડ્યો ને કહેવા લાગ્યો કે-મને થોડે દૂર જળાશય ને સારસ પક્ષીઓનો કલરવ સંભળાય છે’ એટલે યુધિષ્ઠિરે, નકુલને કહ્યું કે-‘તું ઝટ ત્યાં જા અને ભાથાઓમાં ભરીને પાણી લઇ આવ’

નકુલ તરત જ તે જળાશય તરફ દોડ્યો,ને સારસ પક્ષીઓથી ઘેરાયેલા તે જળાશયનું નિર્મળ જળ જોઈને તેણે પાણી પીવાની ઈચ્છા કરીને જેવો પાણી તરફ નમ્યો ત્યારે તેને યક્ષની આકાશવાણી સંભળાઈયક્ષ બોલ્યા-તું પાણી પીવાનું સાહસ કરીશ નહિ,કેમકે મેં પહેલેથી એક નિયમ કર્યો છે કે-જે મારા પ્રશ્નોના ઉત્તર આપે-તે જ આ તળાવમાંથી પાણી પી શકે,એટલે મારા પ્રશ્નોના ઉત્તર આપીને પાણી પી અને પાણી લઇ જા’

પણ,તૃષાતુર થયેલા તે નકુલે તેના વચનોનો અનાદર કર્યો,ને તેણે શીતળ જળ પીધું કે તરત તે નિશ્ચેટ થઈને જમીન પર ઢળી પડ્યો.આમ,નકુલને આવવામાં વાર થઇ,એટલે યુધિષ્ઠિરે સહદેવને મોકલ્યો.સહદેવે ત્યાં જઈને,નકુલને જમીન પર મરેલો જોયો,ને સંતાપથી પીડાયેલો ને તરસ્યો તે પાણી તરફ દોડ્યો. ત્યારે ફરીથી તે જ આકાશવાણી થઇ,પણ સહદેવે પણ તેના વચનોનો અનાદર કરીને પાણી પીધું કે તરતજ તે પણ નિશ્ચેટ થઇ પડ્યો.

બે ભાઈઓના પાછા આવવામાં વાર થઇ એટલે યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો,તો તે પણ ત્યાં નિશ્ચેટ થઈને પડ્યો. યુધિષ્ઠિરે છેવટે ભીમને મોકલ્યો તો તેના પણ એવા જ હાલ થયા. એક પણ ભાઈ પાછો ન આવ્યો, એટલે સંતાપ કરીને યુધિષ્ઠિર પોતે તે સરોવર તરફ ચાલ્યા. ને વન વટાવીને છેવટે સરોવર પર પહોંચ્યા

જેમ,યુગનો અંતકાળ આવતાં લોકપાલો સ્વર્ગમાંથી નીચે પડે,તેમ,ઇન્દ્રના જેવા ગૌરવવાળા પોતાના ભાઈઓને યુધિષ્ઠિરે ત્યાં મૃત્યુ પામીને પડેલા જોયા.શોકથી આંસુભર્યા થયેલા તે યુધિષ્ઠિર, ચિંતાથી ઘેરાઈને વિલાપ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-અપરાજિત એવા આ ભાઈઓને કોણે માર્યા હશે?તેમના શરીર પર કોઈ અસ્ત્ર પ્રહારના ચિહ્નો ન જોઈને તેમણે વિચાર્યું કે-કદાચ દુર્યોધને જળને વિષમય કર્યું હોય કે જે જળ પીવાથી જ આ ભાઈઓ મૃત્યુ પામ્યા હોય.

આમ વિચારીને તે જળ પાસે જઈને જ્યાં જળને હાથ લગાડવા ગયા ત્યાં જ ફરીથી તે યક્ષની આકાશવાણી થઇ. યક્ષ બોલ્યા-‘હું સેવાળ ને માછલાં ખાનાર બગલો છું.મેં જ તમારા ભાઈઓને મૃત્યુને અધીન કર્યા છે. મારા પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના તું પાણી પી શકશે નહિ, ને જો પીશ તો તું પણ મૃત્યુને અધીન થશે’

યુધિષ્ઠિર બોલ્યા-તમે કોણ દેવ છો? કેમ કે એક પક્ષીથી,મારા અજેય ભાઈઓને મારવાનું આવું કામ થઇ શકે નહિ. આમ કહી તે જળથી દૂર જઈને ઉભા, ત્યારે તેમણે, વિરૂપ આંખોવાળા ને તાડ જેવો ઊંચા યક્ષને જોયો.

તે યક્ષ બોલ્યા-હે રાજન,તારા ભાઈઓને મેં અનેકવાર વાર્યા હતા પણ તેમણે મારા વચનનો અનાદર કરીને પાણી પીવાને ઇચ્છયું એટલે મેં તેમને માર્યા છે. એટલે તું પણ પ્રથમ મારા પ્રશ્નોના ઉત્તર આપ પછી પાણી પીજે

યુધિષ્ઠિર બોલ્યા-હે યક્ષ,તમે પહેલેથી અધિકારમાં લીધેલા જળની હું ઈચ્છા કરતો નથી, તો તમે પ્રશ્ન પૂછો, હું તમારા પ્રશ્નોના યથામતિ જવાબ આપીશ